ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થાય તે માટે સતત સઘન કામગીરી કરી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી ‘ભોલેનાથ ડેરી’ પર ફ્લાઈંગ સ્કોડ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે ભેળસેળયુક્ત માવો બનાવાતો હોવાનો પર્દાફાશ થયો હતો.
૨,૫૪૮ કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડેરીમાંથી અંદાજે રૂ. ૫.૧૦ લાખની કિંમતનો ૨,૫૪૮ કિલોગ્રામ ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, કોઈપણ પ્રકારના જરૂરી લાયસન્સ વગર સ્વીટ બરફીનું ગેરકાયદેસર ઉત્પાદન થતું હોવાનું પણ સામે આવ્યું હતું.
ગંદકી વચ્ચે બનેલા ૫૫૦ કિલો અખાદ્ય માવાનો નાશ
તપાસ દરમિયાન ડેરીમાં અત્યંત ગંદકી જોવા મળી હતી. આવી અસ્વચ્છ પરિસ્થિતિમાં બનાવવામાં આવેલો અંદાજે ૫૫૦ કિલોગ્રામ માવો લોકોના આરોગ્ય માટે જોખમી હોવાનું માનતા અધિકારીઓએ તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરાવ્યો હતો. ફૂડ સેફ્ટી અધિકારીઓએ ખુલ્લા માવા અને બરફીના નમૂનાઓ લઈને લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે.
ડેરીનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
નિયમોના ભંગ બદલ ભોલેનાથ ડેરી સામે કડક કાર્યવાહી કરતાં વિભાગ દ્વારા ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ’ હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ ડેરીનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. લેબોરેટરીમાંથી સેમ્પલ રિપોર્ટ મળ્યા બાદ વધુ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને નહીં છોડાય
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, નફાની લાલચમાં પ્રજાના આરોગ્ય સાથે રમત રમનાર તત્વોને રાજ્ય સરકાર કોઈપણ સંજોગોમાં માફ નહીં કરે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ભેળસેળ અને ગેરકાયદેસર ખાદ્ય પ્રવૃત્તિઓ સામે સતત સઘન તપાસ અને કડક દેખરેખ ચાલુ રાખવામાં આવશે.