પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટની વચ્ચે વડાપ્રધાન Narendra Modi એ દેશવાસીઓને પેટ્રોલિયમ પેદાશોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. રવિવારે તેલંગાણામાં યોજાયેલી જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભારત મોટાભાગનું ઇંધણ આયાત કરે છે, તેથી હાલની પરિસ્થિતિમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઉપયોગ માત્ર જરૂરિયાત મુજબ જ કરવો જરૂરી બન્યો છે.
યુએસ-ઈરાન તણાવ વચ્ચે ઊર્જા સંકટની ચિંતા
વડાપ્રધાન મોદીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી રહી છે. ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માર્ગ પર ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે વિશ્વભરમાં ઇંધણ સપ્લાય પર દબાણ વધ્યું છે. PM મોદીએ કહ્યું કે ઇંધણનો સંયમિત ઉપયોગ કરવાથી માત્ર વિદેશી હૂંડિયામણની બચત જ નહીં થાય, પરંતુ વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓની અસર પણ ઓછી કરી શકાશે.
વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રમાં ભારતની ઝડપી પ્રગતિ
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત હવે કુદરતી અને વૈકલ્પિક ઊર્જાના ક્ષેત્રમાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. સૌર ઊર્જા ઉત્પાદનમાં ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન બનાવી રહ્યું છે. ઉપરાંત, પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વધારવાના પ્રયાસો પણ સફળ રહ્યા છે, જેના કારણે આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી રહી છે.
CNG અને પાઇપ્ડ ગેસ નેટવર્કના વિસ્તરણ પર ભાર
કેન્દ્ર સરકારની ઊર્જા વ્યૂહરચના અંગે વાત કરતા PM મોદીએ જણાવ્યું કે સરકારે સૌપ્રથમ દેશના દરેક ઘરમાં LPG કનેક્શન પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે સરકાર સસ્તું અને સુલભ પાઇપ્ડ ગેસ નેટવર્ક વિસ્તૃત કરવા તરફ આગળ વધી રહી છે. સાથે જ CNG આધારિત ઇકોસિસ્ટમને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી સ્વચ્છ અને સસ્તી ઊર્જાનો વ્યાપ વધારી શકાય.